'માતાનો મઢ' ને મળ્યો નવો શણગાર: ₹૩૨.૭૧ કરોડના વિકાસકાર્યોનું ૨૬ મેના રોજ PM મોદી કરશે ઈ લોકાર્પણ
આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો; ખાટલા ભવાની મંદિર, ચાચરા કુંડ અને રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ કરાયું.

Mata no Madh development 2025: કચ્છ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ 'માતાનો મઢ' ખાતે માસ્ટર પ્લાન અંતર્ગત ₹૩૨.૭૧ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૬ મેના રોજ ભુજથી આ વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ કરશે, જેનાથી આશાપુરા માતાના લાખો ભક્તોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન ૨૬ મેના રોજ કચ્છના ભુજ ખાતે આયોજિત સમારંભમાં કુલ ₹૫૩,૪૧૪ કરોડના ૩૩ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રસમાન 'માતાનો મઢ' ખાતે આવેલા આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ પૂર્ણ થયેલા વિકાસકાર્યોના ઈ લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.
આશાપુરા ધામ પરિસરનું નવસર્જન
રાજ્ય સરકાર અને તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ અને પુનર્વિકાસ માટે ₹૩૨.૭૧ કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો, જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ માસ્ટર પ્લાન અંતર્ગત માતાનો મઢ – આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે વ્યાપક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આવેલા યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી રહી છે. આ જ કડીમાં માતાનો મઢ ખાતે આવેલા આશાપુરા મંદિર અને આસપાસના સ્થળોનો વિકાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ વિકાસકાર્યો પૂર્ણ થતા 'માતાનો મઢ' – આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર થયો છે.
વિકાસકાર્યોની મુખ્ય ઝલક
- મંદિર પરિસરની સુવિધાઓ: આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની સુવિધા, પ્રસાધન બ્લોક, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશનના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.
- ખાટલા ભવાની મંદિરનો વિકાસ: પર્વતની ટોચ પર આવેલા ખાટલા ભવાની મંદિર સુધી પહોંચવા માટેના પગથિયાંનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ, અને પર્વત પર યાત્રિકો માટે વોક વે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રીપેરિંગ, વાહનો મારફતે આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લોક, હંગામી સ્ટોલ માટે શેડ ઓટલા, તેમજ મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. આ વિકાસકાર્યો નવરાત્રિ પહેલા પૂરા થયા હતા, જેનો લાભ માઈભક્તોને મળ્યો.
- ચાચરા કુંડનો જીર્ણોદ્ધાર: માતાનો મઢ ગામમાં આવેલા પૌરાણિક અને જર્જરિત ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કુંડ પરિસરમાં વોક વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા, તેમજ પ્રવાસીઓ માટે કિચન ડાઇનિંગ સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લોક અને મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપેરિંગ કાર્ય પણ પૂર્ણ થયું છે.
- રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ: માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલા રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે, સાથે જ એન્ટ્રન્સ પ્લાઝા અને પાર્કિંગ સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.



















