MM Naravane Book: શું નિવૃત્તિના 20 વર્ષ સુધી પુસ્તક નહીં લખી શકે લશ્કરી અધિકારીઓ? રાજનાથ સિંહે કર્યો ખુલાસો
MM Naravane Book: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એવા અહેવાલોનું ખંડન કર્યું કે લશ્કરી અધિકારીઓને નિવૃત્તિ પછી 20 વર્ષ સુધી પુસ્તકો લખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

MM Naravane Book Controversy: પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેના પુસ્તક અંગેના વિવાદ બાદ પ્રથમ વખત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પૂર્વ સેના પ્રમુખો દ્વારા પુસ્તકો લખવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. સંરક્ષણ મંત્રીએ એ અહેવાલોને પણ સદંતર ખોટા ગણાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેના સાથે જોડાયેલા અધિકારીઓને નિવૃત્તિના 20 વર્ષ સુધી કોઈ પુસ્તક લખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તાજેતરમાં સંસદના બજેટ સત્ર દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ જનરલ નરવણેના પુસ્તકને છાપવાની મંજૂરી આપવા બાબતે સરકારને સવાલ કર્યો હતો. ત્યારબાદ સંસદમાં જબરદસ્ત વિવાદ થયો હતો અને સત્ર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. વર્ષ 2020માં ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ અને સરહદ વિવાદ પર તકરાર દરમિયાન, જનરલ એમએમ નરવણે (હવે નિવૃત્ત) દેશના સેના પ્રમુખ હતા (માર્ચ 2020-એપ્રિલ 2022). ઓક્ટોબર 2023માં જનરલ નરવણેએ સમાચાર એજન્સી પીટીઆઈને એક ઇન્ટરવ્યુ દ્વારા જણાવ્યું હતું કે તેમણે પોતાની આત્મકથા, 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' (Four Stars of Destiny) લખી છે. પીટીઆઈએ આ પુસ્તકના કેટલાક અંશો પણ પ્રકાશિત કર્યા હતા.
જનરલ નરવણેએ પુસ્તકમાં ગલવાન ઘાટીની અથડામણ (15-16 મે 2020) થી લઈને ચીન સાથે થયેલા ડિસએન્ગેજમેન્ટ એટલે કે સરહદ વિવાદના ઉકેલ માટેના કરાર વિશેની સંપૂર્ણ માહિતી જાહેર કરી દીધી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે ફોન પર થયેલી વાતચીત અને બેઠકો વિશે પોતાની પુસ્તકમાં વિગતવાર લખ્યું છે. તે પુસ્તકમાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) અને ચાઇના સ્ટડી ગ્રુપ (CSG) ની મીટિંગનો પણ ઉલ્લેખ છે.
પૂર્વ સેના અધ્યક્ષે પોતાના હેઠળના કમાન્ડરો સાથે થયેલી વાતચીત અને તેમને આપેલા ઓર્ડર (દિશા-નિર્દેશો) પણ પુસ્તકમાં લખ્યા છે. આ તમામ બાબતોને કારણે સરકારે (સંરક્ષણ મંત્રાલયે) સીધા જનરલ નરવણેના બદલે, પુસ્તક પ્રકાશિત કરનાર પબ્લિશિંગ હાઉસ પાસેથી પુસ્તકનો આખો ડ્રાફ્ટ મંગાવ્યો હતો. જે પુસ્તક એપ્રિલ 2024માં પ્રકાશિત થવાનું હતું, તેને આજ સુધી લીલી ઝંડી મળી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, જનરલ નરવણેના પુસ્તકને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ (OSA) અને આર્મી એક્ટ હેઠળ રોકવામાં આવ્યું છે, કારણ કે પુસ્તક રિલીઝ થવાથી સેના સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી જાહેર થઈ શકે છે.























