Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધનું મેદાન બની ગયું છે

Iran US War: ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધનું મેદાન બની ગયું છે. સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ અમેરિકા હવે ઈરાનના નૌકાદળને નિશાન બનાવી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના દળોએ નવ ઈરાની નૌકાદળના જહાજોનો નાશ કર્યો છે અને ડૂબાડી દીધા છે. તેમણે ઉમેર્યું હતું કે બાકીના ઈરાની જહાજો ટૂંક સમયમાં નષ્ટ પામશે.
ઈરાનનું નૌકાદળનું હેડક્વાર્ટર નષ્ટ થયુંઃ ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, "મને હમણાં જ માહિતી મળી છે કે અમે નવ ઈરાની નૌકાદળના જહાજોનો નાશ કર્યો છે અને ડૂબાડી દીધા છે, જેમાંથી કેટલાક ખૂબ મોટા અને મહત્વપૂર્ણ હતા. અમે બાકીના જહાજો તરફ આગળ વધી રહ્યા છીએ અને તે પણ ટૂંક સમયમાં ડૂબી જશે. બીજા હુમલામાં અમે તેમના (ઈરાનના) નૌકાદળ મુખ્યાલયનો લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે. વધુમાં, તેમની નૌકાદળ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે."
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA એ અગાઉ IRCG ને ટાંકીને દાવો કર્યો હતો કે ઈરાની સૈન્યએ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4ના ભાગ રૂપે યુએસ એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, "લિંકન પર કોઈ હુમલો સફળ થયો ન હતો. ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલો એરક્રાફ્ટ કેરિયર સુધી પણ પહોંચી ન હતી."
એક જ ઝટકામા 48 ઈરાની નેતાઓ માર્યા ગયા: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે (1 માર્ચ, 2026) દાવો કર્યો હતો કે ઈરાન સામે ચાલી રહેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં 48 ટોચના ઈરાની નેતાઓ અને લશ્કરી અધિકારીઓ માર્યા ગયા છે. ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું, "અમે એક જ ઝટકામાં 48 ઈરાની નેતાઓને માર્યા ગયા અને ઓપરેશન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે." CNBC સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું, "નવા ઈરાની નેતાઓ વાત કરવા માંગે છે અને હું તેના માટે સંમત છું. ઈરાને પહેલાથી જ એક કરાર કરવો જોઈતો હતો."
આયાતુલ્લા અલી ખામેનેઈ પછી ઈરાનમાં સતાનું સંકટ
આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુએ ઈરાનને અનિશ્ચિતતામાં ધકેલી દીધું છે. યુએસ કાયદા નિર્માતાઓ અને ઈરાની અધિકારીઓના નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેહરાનના સત્તા માળખામાં આગળ શું થશે તે અંગે ઊંડી મૂંઝવણ છે. સીએનએન સાથે વાત કરતા અમેરિકન સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન ટોમ કોટને જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું, "આગામી દિવસોમાં, અમેરિકન જનતા ઈરાનની મિસાઇલો, તેમના લોન્ચર્સ અને તેમની મિસાઇલ ઉત્પાદન ક્ષમતાઓ સામે વ્યવસ્થિત અને સુનિયોજિત કાર્યવાહી જોશે." જ્યારે વોશિંગ્ટન સતત લશ્કરી દબાણનો સંકેત આપી રહ્યું છે, ત્યારે તેહરાન આ હુમલાઓને ગેરકાયદેસર આક્રમણ કહી રહ્યું છે. આ વિરોધાભાસી નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાનમાં નેતૃત્વ સંક્રમણ પ્રક્રિયા કઈ દિશામાં જશે તે અંગે નોંધપાત્ર અનિશ્ચિતતા રહે છે.























