3000ની વસ્તી ધરાવતા સોખડામાં એક સાથે 14 લાશને અપાઇ અગ્નિ, ગામ બન્યુ શોકાતૂર
રાજકોટઃ રાજકોટના સોખડા ગામના લોકો પીકઅપ વાનમાં પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ધોળકા-બગોદરા હાઇવે પાસે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 14 વ્યક્તિના મોત નીપજ્યા હતા. તમામ મૃતકો પાંચ પરિવારના હોવાનું કહેવાય છે. એક સાથે 14 લોકોના મોતથી 3000ની વસ્તી ધરાવતા સોખડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આજે તમામને અગ્નિસંસ્કાર આપવા માટે આખુ ગામ એકઠુ થયુ હતું.
ગામના 14 વ્યક્તિના મોતથી આખુ ગામ હિબકે ચડ્યુ હતું. કોઇએ પણ ઘરમાં ચૂલો સળગાવ્યો નહોતો. જીંઝરીયા પરિવારના જ 9 વ્યક્તિના મોતથી ભારે ગમગીની છવાઇ ગઇ છે. જ્યારે મેઘાણી પરિવારના 2 અને સરવૈયા પરિવારના 2 સભ્યોનો સમાવેશ થાય છે. તેમજ ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સોખડા ગામમાં એકી સાથે 14 અર્થી ઉઠતા ગ્રામજનો હિબકે ચડ્યા હતા. મેદાનમાં જ 14 ચીતા ગોઠવવામાં આવી હતી અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામના દરેક ઘરના લોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા.