(Source: Dainik Bhaskar)
Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન
સુરત સચિનના પાલી ગામમાં ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ 5 માળનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. 7 વર્ષ પહેલા બનેલું આ બિલ્ડિંગ ધરાશાયી થતા 7 લોકોના મૃત્યુ થયા છે. ભાડાના મકાનમાં આરામ કરી રહેલા લોકો કંઈ સમજે કે વિચારે તે પહેલા જ 5 મિનિટમાં આખું બ્લિડિંગ ધરાશાયી થયું. પોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા, રમીલાબેન કાકડિયા અને બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 105, 54 મુજબ ગુનો નોંધ્યો છે. આ બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયાં હતાં. બિલ્ડિંગમાં 5થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ કાટમાળમાં નવ ફૂટ ઉંડે ફસાયેલી કશિશ શર્મા નામની યુવતીનું જીવના જોખમે ફાયર માર્શલ વીકીએ રેસ્ક્યૂ કર્યું. આ મકાન પહેલા નગરપાલિકા અંદર આવતું હતું. પછી મહાનગરપાલિકા અંતર્ગત આવ્યું. આ બ્લિડિંગમાં બીયુ પરમિશન પણ નહોતી. બિલ્ડિંગ સીલ કરવાના બદલે પાલિકાએ માત્ર નોટિસ ચોંટાડી હતી. દબાયેલા લોકોમાંથી વધારેમાં વધારે લોકોના જીવ બચાવી શકાય તે માટે શહેરના 7 ફાયર સ્ટેશનની 40 જવાનો, NDRFની ટીમ, ગુજરાત ડિજાસ્ટર મેનેજમેન્ટની ટીમે કામગીરી શરૂ કરી હતી. ફાયર અને NDRFના જવાનો દબાયેલા કાટામાળની નીચે જઈને લાઈવ ડિટેક્ટર અને કેમેરા સાથે લોકોને શોધી રહ્યા હતાં.
અનેક નેતા ભાડા માટે મકાનો બાંધે છે. જેમાં નગરપાલિકાના નગરસેવકો અને પૂર્વ નગર સેવકો પણ છે. સચિન, પાંડેસરા, લિંબાયત, વડોદ, હજીરા, મોરા, કતારગામ આ વિસ્તારમાં દુનિયાભરમાં ખોલીઓ અને મકાનો છે. આ જ પ્રકારે અંકલેશ્વર, વાપી, કીમ, કોસંબામાં ખોલીઓ ચાલે છે. સુરત શહેરમાં 800 મકાન એવા છે તુરંત ઉતારી લેવા જરૂરી છે.