Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનું ભૂત
અરવલ્લી જિલ્લો. જ્યાં અંધશ્રદ્ધામાં એક મહિલાએ ગુમાવ્યો જીવ. મહીસાગરના ખાનપુરની 28 વર્ષીય પિંકીબેન રાવળને છેલ્લા કેટલાક સમયથી પેટની બીમારી હતી. દવાખાનેથી દવા લીધી પણ કોઈ રાહત ન થઈ. એવામાં સગા-સંબંધી પિંકીબેનને અરવલ્લીના માલપુર તાલુકાના પીપરાણા ગામે એક ભૂવા પાસે લાવ્યા. ભૂવાએ આંકડાનું રસ પીવડાવ્યું. ત્યારબાદ પિંકીબેનની તબિયત વધુ લથડી અને તેઓ બેભાન થઈ ગયા. બાદમાં સારવાર અર્થે તેમને મોડાસા અને વડોદરા લઈ જવાયા. જો કે, તબિયતમાં સુધારો ન થતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. પિંકીબેનને બે નાના બાળકો છે. તેમના પતિએ ભૂવા બાબુભાઈ તારાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે..ફરિયાદ નોંધાતા જ ભૂવો બાબુભાઈ ફરાર થઈ ગયો. અરવલ્લીમાં એક જ અઠવાડિયામાં અંધશ્રદ્ધાના કારણે બીજી મહિલાને જીવ ગુમાવવો પડ્યો. થોડા દિવસ પહેલાં ડાકણનું વહેમ રાખી એક મહિલાની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી.
રાજકોટના ધોરાજીમાં આવેલા સોનાપુરી સ્મશાન ગૃહનો વીડિયો જોજો. જ્યાં સ્મશાનમાં એક યુવક પહોંચ્યો. આ યુવક ત્યાં તાંત્રિક વિધિ કરતો હોયનો આરોપ છે... આ ઘટનાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. ABP અસ્મિતાની ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ કરી. આ સમયે લોકોએ રોષ વ્યક્ત કર્યો કે, ધોરાજી નગરપાલિકા યોગ્ય રીતે ધ્યાન નથી રાખી રહી. સ્થાનિકોએ માગ કરી કે, તાંત્રિક વિધિ કરનાર યુવકને પકડી કાર્યવાહી કરવામાં આવે.