Gir Somnath Rains Update : ગીર સોમનાથમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં વહેલી સવારના સમયે મેઘરાજાએ બોલાવી ધડબડાટી. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. સૂત્રાપાડાનું પ્રશ્નાવાળા ગામ તો જાણે બેટમાં ફેરવાયું. અહીંના કોળીવાડા વિસ્તારમાં તો 30થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ન માત્ર સૂત્રાપાડા પણ ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રીના મેઘરાજાએ સટાસટી બોલાવી. ગીર ગઢડામાં રાત્રીના બે વાગ્યાથી સવારે ચાર વાગ્યા દરમિયાન અંદાજિત પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. લાંબા સમયના વિરામ બાદ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું. સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં તો 11 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો. બે દિવસથી વરસાદના કારણે સ્થાનિક નદી- નાળાઓમાં પણ નવા નીર આવ્યા. સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પ્રાંચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા. પ્રાંચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થયા. આ તરફ તાલાલા ગીરમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ગીર જંગલમાં મધરાતે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો.





















