8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સૌથી મોટા સમાચાર , ક્યારે થશે લાગું?
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સૌથી મોટા સમાચાર , ક્યારે થશે લાગું?
Cabinet Decision: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય, ટૂંક સમયમાં કમિટીની રચના અને પ્રક્રિયા શરૂ થશે, પગાર અને પેન્શનમાં વધારાની શક્યતા. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપતાં કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આ નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
8મું પગાર પંચ: મંજૂરી અને આગળની પ્રક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ટૂંક સમયમાં જ આ માટે એક કમિટી બનાવવામાં આવશે અને 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
લાંબા સમયથી ચાલતી માંગણી
કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનો ઘણા સમયથી કેબિનેટ સચિવને મળીને 8મા પગાર પંચની રચનાની માંગણી કરી રહ્યા હતા અને આ માટે સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં ઘણી વખત કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે આ બાબતે સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી. છેલ્લા બજેટ પછી જ્યારે નાણા સચિવ ટીવી સોમનાથનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર પાસે આ કામ માટે હજુ પૂરતો સમય છે.
7મું પગાર પંચ અને 8મા પગાર પંચનો અમલ
દેશમાં 1 જાન્યુઆરી, 2016થી 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળ્યો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચનો અમલ થતો હોવાથી એવી અપેક્ષા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ કરશે. આનાથી લઘુત્તમ વેતન અને પેન્શનમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે.
દર 10 વર્ષે નવું કમિશન
છેલ્લા પગાર પંચની રચનાને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. સામાન્ય રીતે આગામી પગાર પંચ દર 10 વર્ષે રચાય છે. જૂના પગાર પંચની જગ્યાએ નવા પગાર પંચની ભલામણોના અમલીકરણ વચ્ચે સામાન્ય રીતે 10 વર્ષનો ગાળો હોય છે. આ પરિસ્થિતિમાં આઠમા પગાર પંચની રચના જરૂરી બની ગઈ હતી.




















