"મારો માણસ હશે તો પણ નહીં છોડું!" સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાએ લુખ્ખાઓને આપી ખુલ્લી ચેતવણી
સુરતમાં કતારગામના MLA વિનુ મોરડિયાએ લુખ્ખા તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું, "દીકરીની છેડતી કરનાર મારો અંગત માણસ હશે તો પણ નહીં છોડું, 24 કલાકમાં પાઠ ભણાવીશ."

- વગર FIR એ સજા: લુખ્ખા તત્વોને પોલીસ ફરિયાદ વિના સીધી સજાની ચેતવણી.
- કડક કાર્યવાહી: દીકરીઓની પજવણી કરનાર પોતાનો માણસ હોય તો પણ નહીં છોડાય.
- 24 કલાકનું અલ્ટીમેટમ: ગુંડાતત્વોને તાત્કાલિક જેર કરવાની ધારાસભ્યએ જવાબદારી લીધી.
Surat MLA Vinu Moradiya Statement: સુરત (Surat) શહેરમાં દીકરીઓની સુરક્ષા અને વધતા જતા અસામાજિક દુષણો સામે કતારગામના ધારાસભ્ય (Katargam MLA) વિનુ મોરડિયાએ હવે લાલ આંખ કરી છે. 1 February ના રોજ યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યએ મંચ પરથી લુખ્ખા તત્વો અને રોમિયોગીરી કરતા શખ્સોને ખુલ્લી ચેતવણી આપી છે, જેનાથી શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કતારગામ વિસ્તારમાં હવે અસામાજિક તત્વોની ખેર નથી. ગુનેગારોને પાઠ ભણાવવા માટે પોલીસ ફરિયાદની રાહ જોવામાં આવશે નહીં. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેમણે જાહેરમાં કહ્યું, "અસામાજિક તત્વોને 'વગર FIR એ શિક્ષા' કરવામાં આવશે."
આ આક્રમક નિવેદન વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત 68મા સમૂહ લગ્નોત્સવ દરમિયાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપતા વિનુ મોરડિયાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને સાક્ષી રાખીને ગુંડાતત્વોને સીધો પડકાર ફેંક્યો હતો.
તેમણે લાગણીસભર થઈને જણાવ્યું હતું કે, "કોઈ પણ સમાજની દીકરી હોય, તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે." તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ વ્યક્તિ દીકરીઓની છેડતી કરશે કે પજવણી કરશે, તો તેને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ધારાસભ્યએ ગુંડાતત્વોને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, ગુનેગાર ગમે તેટલી મોટી રાજકીય વગ કે તાકાત ધરાવતો હોય, તેને 24 કલાકની અંદર જેર (કાબૂમાં) કરવાની જવાબદારી હું લઉં છું. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના મત વિસ્તારમાંથી ગુંડાગીરીનો સફાયો કરવા માટે કેટલા મક્કમ છે.
સામાન્ય રીતે રાજકીય નેતાઓ પોતાના કાર્યકરો કે નજીકના લોકોને છાવરતા હોય છે, પરંતુ વિનુ મોરડિયાએ એક નવો દાખલો બેસાડ્યો છે. તેમણે કહ્યું હતું કે, "જો ગુનો કરનાર વ્યક્તિ મારો અંગત માણસ પણ હશે, તો હું તેને પણ નહીં છોડું."
કતારગામમાંથી અસામાજિક તત્વોની ગેંગોનો સફાયો (Gangs Cleanup) કરવાની નેમ સાથે તેમણે સમાજને દીકરીઓની સુરક્ષાની ખાતરી આપી હતી. તેમના આ નિવેદનને હાજર રહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું, જ્યારે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.






















