નવું આવકવેરા બિલ 2025: ભારતમાં કમાતા NRI હવે નહીં બચી શકે ટેક્સથી, બદલાયા નિયમો
New income tax bill 2025 India: NRI સ્ટેટસનો દુરુપયોગ થશે બંધ, ભારતમાં કમાણી કરનાર NRIને ભરવો પડશે ટેક્સ.

NRI tax residency in India: નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે, જે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) પર મોટી અસર કરશે. આ બિલમાં ટેક્સ રેસિડેન્સીના નિયમોને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ ભારતમાં 15 લાખ રૂપિયા કે તેથી વધુની કમાણી કરે છે પરંતુ ટેક્સ ભરતા નથી.
હવે NRI સ્ટેટસનો દુરુપયોગ કરીને ટેક્સથી બચવું શક્ય નહીં રહે. નવા આવકવેરા બિલ અનુસાર, જો કોઈ વ્યક્તિ ભારતમાં 15 લાખ રૂપિયાથી વધુની આવક કરે છે, તો તેને ભારતના નાગરિક ગણવામાં આવશે અને તેની ભારતમાં થયેલી કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. સરકારનો આ પગલું ભરવાનો મુખ્ય હેતુ NRI સ્ટેટસનો દુરુપયોગ અટકાવવાનો અને કરચોરીને રોકવાનો છે.
નવા બિલમાં ટેક્સ રેસિડેન્સી નક્કી કરવા માટેના માપદંડોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ ટેક્સ વર્ષમાં ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહે છે અથવા 60 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહે છે અને છેલ્લા ચાર વર્ષમાં કુલ 365 કે તેથી વધુ દિવસ ભારતમાં વિતાવ્યા હોય, તો તેને ભારતીય નાગરિક ગણવામાં આવશે અને તેની આવક પર ટેક્સ લાગશે.
જો કે, આ 60 દિવસનો નિયમ અમુક ખાસ કિસ્સાઓમાં લાગુ નહીં થાય. જો કોઈ વ્યક્તિ ભારતીય એરલાઇન અથવા જહાજના ક્રૂ મેમ્બર તરીકે ભારત છોડે છે અથવા નોકરી માટે વિદેશ જાય છે, તો તેને આ નિયમમાંથી મુક્તિ મળશે. તે જ રીતે, ભારતમાં આવતા NRIને પણ આ શરતમાં છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો ભારતમાં આવનાર NRIની આવક (વિદેશી સ્ત્રોત સિવાય) 15 લાખ રૂપિયાથી વધુ હોય, તો 60 દિવસની મર્યાદા વધારીને 120 દિવસ કરવામાં આવશે.
ભારતની ટેક્સ સિસ્ટમ હંમેશાથી નાગરિકત્વને બદલે દેશમાં વ્યક્તિની ભૌતિક હાજરી પર ભાર મૂકે છે. વર્તમાન નિયમો હેઠળ, NRIને ભારતમાં માત્ર તેમની કમાયેલી આવક પર જ ટેક્સ ભરવાનો હોય છે, જ્યારે દેશની બહારની તેમની આવક કરમુક્ત રહે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા લોકો ભારતમાં રહીને પૈસા કમાતા હોવા છતાં NRI સ્ટેટસનો લાભ લઈને ટેક્સ ભરવામાંથી બચી જતા હતા. આ નવા નિયમથી કરચોરીને અટકાવી શકાશે અને કરવેરા પ્રણાલીમાં ન્યાય સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો...
શું તમારી કંપની PF જમા કરાવે છે? જાણો પળવારમાં, આ રહી સરળ રીતો!
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
