નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ ધટનામાં 18 લોકોના મોત થયા હતા. 25 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્લી: મહા કુંભમાં સંગમ સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહેલા ભક્તોની ભીડ વધવાને કારણે શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા.
રેલ્વે બોર્ડના ચેરમેન સતીશ કુમારે ઘટનાની જાણકારી મેળવી હતી.
રેલ્વે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમારે રેલ્વે સ્ટેશન પર પહોંચીને ઘટનાનો તાગ મેળવ્યો અને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
આ ઘટના પ્લેટફોર્મ નંબર 14/15 પર રાત્રે 8.30 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો પ્રયાગરાજ તરફ જતી બે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ટ્રેનો આવી ન હતી, જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી હોવાથી તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ધક્કા-મુક્કી શરૂ થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા.
નાસભાગની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિત ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ઘાયલોની સંખ્યા એટલી વધારે હતી કે એમ્બ્યુલન્સ મળી શકી ન હતી. આવી સ્થિતિમાં કેટલાક લોકો પોતાના સ્વજનો સાથે ઓટોમાં હોસ્પિટલ તરફ દોડ્યા હતા.
લોકનાયક હોસ્પિટલ પ્રશાસને મોડી રાત્રે 10 મહિલાઓ સહિત 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ત્રણ લોકોના મોત થયા છે. આ હોસ્પિટલોમાં ઘણા ઘાયલો દાખલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. હોસ્પિટલોમાં મૃતકો અને ઘાયલોના સંબંધીઓ રડી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
