1st April Rule Change: 1 એપ્રિલથી બદલાઈ જશે બેન્કિંગ સાથે જોડાયેલા નિયમ, જાણો તમારા પર શું થશે અસર ?
દેશમાં 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2025-26 લાગુ થવા જઈ રહ્યું છે. સાથે જ દેશમાં પહેલી એપ્રિલથી બેન્કિંગ સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.
દેશમાં 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2025-26 લાગુ થવા જઈ રહ્યું છે. સાથે જ દેશમાં પહેલી એપ્રિલથી બેન્કિંગ સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તેનાથી ઉપભોક્તાઓના ખિસ્સા પર અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે, ઘણી બેંકો બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે ખાતામાં જમા રકમના આધારે વ્યાજ દર નક્કી કરવામાં આવશે. આનાથી મોટી રકમ ધરાવતા ગ્રાહકોને વધુ વ્યાજ મળવાની શક્યતા છે.
ક્રેડિટકાર્ડ સાથે જોડાયેલા બદલાવ
SBI, IDFC ફર્સ્ટ બેંક તેમની ક્રેડિટ કાર્ડ પોલિસીમાં ફેરફાર કરી રહી છે. કેટલાક વ્યવહારો પર SBI કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ ઘટવા જઈ રહ્યા છે. SimplyCLICK SBI કાર્ડધારકોને હવે Swiggy પર 5X રિવોર્ડ પોઈન્ટ મળશે. અગાઉ તે 10X હતો. એર ઈન્ડિયા એસબીઆઈ ક્રેડિટ કાર્ડના કિસ્સામાં, એર ઈન્ડિયા એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ હવે એર ઈન્ડિયા ટિકિટ બુકિંગ પર ખર્ચવામાં આવેલા દરેક રૂ. 100 પર 5 રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે. હાલમાં 15 રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ છે. તેવી જ રીતે, એર ઈન્ડિયા SBI સિગ્નેચર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને ખર્ચવામાં આવેલા 100 રૂપિયા પર 10 પોઈન્ટ મળશે, જ્યારે હાલમાં તેઓને 30 પોઈન્ટ મળે છે.
IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ્સ વિશે વાત કરીએ તો, 31 માર્ચથી ક્લબ વિસ્તારા ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઇલસ્ટોન રિવોર્ડ્સ બંધ થઈ જશે. ક્લબ વિસ્તારા સિલ્વર મેમ્બરશિપ હવે ઉપલબ્ધ રહેશે નહીં. વધુમાં, પ્રીમિયમ ઈકોનોમી ટિકિટ અને ક્લાસ અપગ્રેડ વાઉચર્સ જેવા કોમ્પ્લિમેન્ટરી વાઉચર્સ પણ બંધ કરવામાં આવશે. બેંક 31 માર્ચથી ક્રેડિટ કાર્ડ રિન્યુ કરનારા ગ્રાહકો માટે એક વર્ષ માટે વાર્ષિક ફી માફ કરશે. પરંતુ મોટા મુસાફરી લાભો ઉપલબ્ધ રહેશે નહીં.
1 એપ્રિલથી, શહેરી સહકારી બેંકોએ તેમની 60 ટકા લોન અગ્રતા ક્ષેત્રોને ફાળવવી પડશે. ઉપરાંત, વધુ મહિલાઓ લોન માટે પાત્ર બનશે.
UPI ID નિષ્ક્રિય કરવામાં આવશે
લાંબા સમયથી સક્રિય ન હોય તેવા બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબરો સાથે સંકળાયેલ UPI ID નિષ્ક્રિય કરવામાં આવશે. મોબાઈલ નંબર ફરી સક્રિય થયા પછી જ તમે આવા નંબર પરથી UPI સેવાઓનો ઉપયોગ કરી શકશો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) માર્ગદર્શિકા મુજબ, જો તમારો મોબાઇલ નંબર રદ કરવામાં આવ્યો છે અથવા સરેન્ડર કરવામાં આવ્યો છે, તો બેંકો અથવા UPI એપ્લિકેશન્સ તેને તેમના રેકોર્ડમાંથી દૂર કરી શકે છે. NPCIએ જણાવ્યું હતું કે રદ્દ/સમર્પણ કરાયેલા મોબાઈલ નંબરોને કારણે ઘણી ટેકનિકલ સમસ્યાઓ અને છેતરપિંડીના કેસ વધી રહ્યા છે.

