![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rain: વાવાઝોડા બાદ રાજ્ય પર ખતરો યથાવત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલા દિવસની ભારે વરસાદની કરાઇ આગાહી
ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે
![Rain: વાવાઝોડા બાદ રાજ્ય પર ખતરો યથાવત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલા દિવસની ભારે વરસાદની કરાઇ આગાહી Cyclone Biparjoy update: parts of Gujarat, south Rajasthan to receive heavy rainfall Rain: વાવાઝોડા બાદ રાજ્ય પર ખતરો યથાવત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલા દિવસની ભારે વરસાદની કરાઇ આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/15/9f949d6ac5ab19624c1f33178baaef6d1686844038422528_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત પરથી વાવાઝોડું પસાર થયું છે પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શહેરમાં ગુરુવારે વાવાઝોડાની અસરના કારણે 30 સ્થળો પર વૃક્ષ અને ત્રણ હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ફાયર વિભાગને ફરિયાદ મળી હતી. તો ત્રણ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયાની ફરિયાદ મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ અને કામગીરી કરી હતી.
વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.
વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી પસાર થયું
બિપરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા છ કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકી ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું હતુ. હવે વાવાઝોડું જખૌ બંદરથી 40 કિલોમીટર ઉત્તર પૂર્વ તરફ આગળ ફંટાયું છે. હવે વાવાઝોડું આગળ વધતા વધતા દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને શાંત પડશે. વાવાઝોડું રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધી રહ્યું છે અને રાજસ્થાનમાં આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હાલ વાવાઝોડાની દિશા કચ્છથી જોધપુર તરફ છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ પવનની ઝડપ 55 કિલોમીટર સુધીની રહેતી હોય છે. ત્યારે આજે કચ્છ, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)