શહેરી ગુજરાત ચમકશે! વિકાસ માટે સરકારે ખોલી તિજોરી, એક જ દિવસમાં ₹૫૩૭ કરોડના જનસુખાકારી કામો મંજૂર
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અમદાવાદ, પોરબંદર, દ્વારકા સહિત નગરો-મહાનગરોમાં માળખાકીય સુવિધા અને વિકાસને વેગ.

Gujarat government funding: રાજ્યના નગરો અને મહાનગરોમાં નાગરિકોના જીવનધોરણને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. શહેરી જનસુખાકારીના વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ નાણાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારની પારદર્શી અને ઝડપી નિર્ણય પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરાયેલા આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આંતર માળખાકીય સુવિધાઓ, માર્ગ મરામત, પાણી પુરવઠા પાઇપલાઇન, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજના જેવા મહત્વપૂર્ણ કામો માટે કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી શહેરીજનોના જીવનમાં નોંધપાત્ર સુધારો થશે અને શહેરોની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.
આ નાણાં ફાળવણીમાં મુખ્ય શહેરો અને નગરપાલિકાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:
અમદાવાદ મહાનગરપાલિકા: અમદાવાદ શહેરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ નવી ૨૬૭ ઇલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવા માટે રૂ. ૫૮.૪૭ કરોડનું અનુદાન મળશે. આ ઉપરાંત, અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનસુખાકારીના કામો માટે કુલ રૂ. ૩૦૯.૭૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના ૧૦ કામો માટે રૂ. ૩.૯૮ કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠો, રોડ અને સ્ટ્રીટ લાઈટના આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રૂ. ૩૫ કરોડ મળશે. રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ-જેતપુર માર્ગને ફોર લેનથી સિક્સ લેનમાં રૂપાંતરિત કરવાની કામગીરી માટે પાણી પુરવઠા પાઇપલાઇન ખસેડવાના કામો માટે રૂ. ૨૧૨.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
પોરબંદર મહાનગરપાલિકા: નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને શહેરને સુંદર બનાવવા અને સફાઈ કામગીરી સુધારવા માટે રૂ. ૧૩.૩૫ કરોડ અને વહીવટી ક્ષમતા વધારવાના કામો માટે રૂ. ૧૧.૬૯ કરોડ, એમ કુલ મળીને ૨૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
દ્વારકા નગરપાલિકા: દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ દ્વારકા શહેરથી નેશનલ હાઈવે સુધી નવો ફોર લેન રોડ બનાવવા માટે થશે, જેમાં વરસાદી પાણીના નિકાલ, ફૂટપાથ અને સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ પણ હશે. વધુમાં, દ્વારકામાં રુક્ષ્મણી માતા મંદિર પાસેથી બાયપાસ રિંગરોડ પણ બનાવવામાં આવશે. આ વિકાસકાર્યોથી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો, બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.
અન્ય નગરપાલિકાઓ: વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ, સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને પણ વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૭૦.૪૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં વિસનગરને સી.સી. રોડ અને પેવર બ્લોક માટે રૂ. ૧.૫૨ કરોડ, પાલનપુરને ગટર લાઈનના કામો અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે રૂ. ૫૫.૮૬ કરોડ, સિદ્ધપુરને વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે પમ્પિંગ મશીનરી માટે રૂ. ૩.૫૬ કરોડ, ટંકારાને સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૧.૯૧ કરોડ અને કેશોદને રૂ. ૫.૯૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. માંડવી નગરપાલિકાને ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓના રિસરફેસિંગ માટે રૂ. ૧.૭૦ કરોડની વધારાની ગ્રાન્ટ આપવામાં આવી છે.
આ પણ વાંચો....
AAP નું રાજ ખતમ થતાં જ એલજી એક્શનમાં, યમુના સફાઈ અભિયાન શરૂ, 3 વર્ષમાં નદીને...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
